Transcendence

BAPS રવિસભા- ૦૫/૧૧/૨૦૧૭ (અમદાવાદ)

“અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ.
ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિષે દ્રઢ કરીને રાખવું. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઊખડે નહીં, તેમ ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.”


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ- ગઢડા અંત્ય-૭
છેલ્લા કેટલાક રવિવાર થી રવિસભામાં અલપ-ઝલપ આવવા નું થતું આથી એક યા બીજા કારણે રવિસભા નો ગુલાલ તમારી સાથે ન કરી શક્યો…..દિવાળી આવી અને ગઈ અને ઉત્સવ ની સુવાસ છોડતી ગઈ પણ જીવ તો એમ જ કહે છે કે- આ ઉત્સવ અને એની સુવાસ તો ત્યારે જ કાયમી રહે કે જ્યારે આ જીવ- એક ભગવાન અને એના ધારક સંત માં વજ્ર ની ખીલી ની જેમ જોડાય..!
આજની સભામાં પુ.ઈશ્વર ચરણ સ્વામી એ  એજ વાત કરી અને જીવ પુનઃ બળવત્તર થઇ ગયો. રીચાર્જ થઇ ગયો માયા ની દીવાલ -સત્સંગ ના એક કાંકરા થી ખડી પડી !!! તો- આજે સભામાં સમયસર પહોંચી ગયા. સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન.

સભાની શરૂઆત – હરિભક્તો-યુવકો ના ધુન્ય પ્રાર્થના થી થઇ ત્યારબાદ એક હરિભક્તે- બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન “સખી હૈડે હરખ ન માય” રજુ કર્યું. ત્યારબાદ એક યુવકે- કૃષ્ણાનંદ સ્વામી રચિત અમર ના સરદાર હરિ મારા ..નૈન તણા શણગાર રજુ કર્યું જે અદ્ભુત હતું. એનો રાગ-સુર અદ્ભુત હતો. પછી પુ.વિવેક મુની સ્વામી એ પ્રેમાનંદ સ્વામી રચિત બે કીર્તન રજુ કર્યા. "મુને સહજાનંદ સ્વામી, સચ્ચિદાનંદ ..અંતરજામી રે.." અને  "વારે વારે સહજાનંદ જી ને વારને રે…"



ત્યારબાદ પ.પુ.મહંત સ્વામી મહારાજ ના ગાંધીનગર અક્ષરધામ ખાતે ના વિચરણ ના અદ્ભુત વિડીયો દર્શન નો લાભ મળ્યો. અક્ષરધામ ગર્ભ ગૃહમાં ગુણાતીત પરંપરા અને અવતારો ની નવીન આકર્ષક મૂર્તિઓ ની પ્રતિષ્ઠા લાભ પાંચમ ના શુભ દિવસે થઇ એની સ્મૃતિ દર્શન આજે થયા.



પ.પુ.મહંત સ્વામી મહારાજ ના અદ્ભુત આશીર્વચન નો પણ લાભ મળ્યો. અને અક્ષરધામ નો મહિમા પુનઃ બળવંત થયો. (એ પછી તો અમે રૂબરૂ નવીન મૂર્તિઓ ના દર્શન કરી આવ્યા. ખરેખર અદ્ભુત છે, મુખ પર ના ભાવ બારીક કોતરણી અતુલ્ય સિંહાસન દર્શન કરતા સંતૃપ્ત ન થાઓ..તેવા છે..)
ત્યારબાદ ઉપરોક્ત વચનામૃત -ગઢડા અંત્ય-૭ પર પુ.ઈશ્વર ચરણ સ્વામી ના પ્રવચન નો લાભ મળ્યો જોઈએ

સારાંશ.

ગઢડા અંત્ય-૨ અને ૭ -ના વચનામૃત યોગીજી મહારાજ ને પ્રિય હતા, એમાં પણ અંત્ય-૭ માં શ્રીજી એ પોતાના અંતર ની વાત કરી છે, આપણે આ વચનામૃત વાંચીએ છીએ. પણ સમજીએ છીએ થોડું અને જયારે વર્તવા નું આવે ત્યારે અટકી જઈએ છીએ, માટે કરવા નું આ છે.

અહિયાં આત્મબુદ્ધિ ની વાત શ્રીજી એ કરી છે. યોગીબાપા ની વ્યાખ્યા માં – આત્મ બુદ્ધિ એટલે – ભગવાન અને મોટા પુરુષ ની આજ્ઞા પ્રમાણે ની સેવા. એમનો રાજીપો એટલે જ આત્મ બુદ્ધિ- અને ભગવાન અને મોટા પુરુષ નો રાજીપો- સંપ,સુહ્ર્દભાવ અને એકતા જેવા ગુણ માં છે.

ભગવાન ના ભક્ત માં – આત્મ બુદ્ધિ મુજબ વર્તાય એટલે – શ્રીજી રાજી થાય. મોટા પુરુષ અને ભગવાન ને સમજવા માં આપણી બુદ્ધિ ટૂંકી પડે. પણ જો એકવાર એમનામાં આત્મ બુદ્ધિ થાય તો – જીવ એમના માં યથાર્થ જોડાય. અને એમનો પક્ષ જીવ શિર ને સાટે રાખે. સહજ પ્રીત થાય.

શ્રીજી ના સમય માં – ઝીણાભાઈ દરબાર હોય કે વરસા ના રાજાભાઈ હોય. તેમણે ભગવાન ના ભક્ત માં – આત્મ બુદ્ધિ રાખી. પોતાનું માન-સન્માન ઓછું કરી. પોતાના સગા સાથે વેર બાંધી ને પણ – ભગવાન ના ભક્ત ની સેવા કરી. એમના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. અને શ્રીજી નો રાજીપો પ્રાપ્ત કર્યો.
પક્ષ હોય તો કદાપી કોઈ નો અભાવ ન આવે. અને અભાવ ન હોય તો સદાયે પક્ષ રહે. તો આપણે કરવા નું આ છે. ભગવાન અને સંત -માં જે સુખ છે એવું સુખ બીજે ક્યાય નથી એમ સમજી એમનામાં દ્રઢ પણે જોડાવા નું છે. એક એમનામાં જ સુખ છે એમ સમજવા નું છે.



યોગીબાપા કહેતા કે- પરમેશ્વર ના ચરણારવિંદ એટલે ગુણાતીત સત્પુરુષ અને એક એમનામાં જોડાવું એટલે- કે જીવ ને શ્રીજી ના ચરણારવિંદ માં વજ્ર ની જેમ જોડવો અને જો એમ થાય તો છતે દેહે જ અક્ષરધામ મળે છે.
અદ્ભુત અદ્ભુત !!!! જીવન માં એટલું સમજાય તો એ – જીવન ધન્ય થઇ જાય, સંપ,સુહાર્દભાવ અને એકતા. એ ગુણ જ – ભક્ત ને – અન્ય ભક્ત માં – પક્ષ અને આત્મબુદ્ધિ જેવા ગુણ કેળવતા શીખવે છે.
સભાને અંતે- પુ.ઈશ્વર ચરણ સ્વામી એ જાહેરાત કરી કે- અમદાવાદ ના પાયા ના સંનિષ્ઠ હરિભક્ત અંબાલાલ પટેલ ના પુત્ર- માણેકલાલ ( પુ.પ્રિયવ્રત સ્વામી-આફ્રિકા ના પૂર્વાશ્રમ ના પિતાશ્રી) નું બે દિવસ પહેલા અક્ષરધામ ગમન થયું છે, અને સમગ્ર સભાએ સ્વામિનારાયણ ધુન્ય કરી શ્રદ્ધાંજલિ આપી. સભાને અંતે- “જમો ને જમાડું” અન્નકૂટ-૨૦૧૭ માં – વિશેષ સેવા કરનાર કાર્યકર-હરિભક્તો નું જાહેર માં બહુમાન કરવા માં આવ્યું….
ખરેખર, છતે દેહે- અક્ષરધામ નું અખંડ સુખ મેળવવા નો માર્ગ આપણી સમક્ષ છે, મોટા પુરુષ વારેઘડીએ -હોંકારા-પડકારા કરી આપણ ને જણાવે છે, પણ કોણ જાણે કેમ આપણા પ્રયત્ન જ ઓછા પડે છે, અને એ માટે શ્રીજી-સ્વામી અને ગુરુહરિ ના ચરણો માં પ્રાર્થના કરીએ કે- આપણ ને દરેક હરિભક્ત માં સદાયે આત્મ બુદ્ધિ રહે, સંપ,સુહૃદભાવ..એકતા અને પક્ષ જેવા સદગુણ સદાયે રહે, દરેક હરિભક્ત આપણ ને બ્રહ્મ ની મૂર્તિ લાગે. મોટા પુરુષ અને ભગવાન માં જ સુખ છે- એમ મનાય. એમ પ્રમાણે જીવાય.

જય સ્વામિનારાયણ….

source : Raj Mistry

Comments

amazon

Popular Posts