મહંત સ્વામી મારો હાથ ઝાલે પછી મારે શું ચિંતા? - PM Modi
અક્ષરધામના ઉત્સવમાં PM મોદી…મહંતસ્વામી હાથ ઝાલે પછી મારે શી ચિંતા!!!
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થયાં છે. આ ઉપલક્ષમાં મંદિરમાં સાપ્તાહિક મહોત્સવ યોજાયો છે. જેના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં છે.દેશની બાગડોર સંભાળાની જવાબદારી સાથે ઘરઆંગણે વિધાનસભા ચૂંટણીના આયોજનો સહિતના અતિવ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય કાઢી પીએમ મોદી આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપતાં હરિભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
પીએમ મોદીએ અક્ષરધામ મંદિર રજત જયંતિ સમારોહ સ્થળે આવ્યાં બાદ પ્રમુખસ્વામી બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ અને નીલકંઠવર્ણીની મૂર્તિને જળાભિષેક કર્યો હતો. પીએમ મોદીના સ્વાગત માટે મહંતસ્વામી સહિત સંસ્થાના ટોચના સંતો અને મોટીસંખ્યામાં હરિભક્તો હાજર રહ્યાં હતાં. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ મયૂર દ્વારનું ઉદઘાટન કર્યું હતું.
પીએમ મોદીએ આ પ્રસંગે પોતાના સંબોધનમાં હરિભક્તોને જય સ્વામિનારાયણ કહીને શરુઆત કરી.
તેમના પ્રવચનના મુખ્ય અંશ…
આમંત્રણ આપવા આવ્યાં ત્યારે મને પૂછ્યું કે તમે આવશો…મેં કહ્યું હતું કે હું મહેમાન થઇ ગયો?
ધર્મપરંપરાની ચર્ચા ચાલે ત્યારે ચમત્કાર વિના આપણને મઝા નથી આવતી..પ્રમુખસ્વામીમાં ચમત્કારનું નામોનિશાન ન હતું. તેમનો સહજ સ્વભાવ આપણને ક્યારેય દૂરી અનુભવવા જ ન દે.
કોઇપણ સંગઠનનો ફેલાવો થવો અઘરું કામ નથી. પ્રમુખસ્વામીએ ફેલાવાના બદલે ઊંચાઇ તરફ ધ્યાન આપ્યું.
પ્રમુખસ્વામીએ ઇમારતરુપ મંદિરો નથી બનાવ્યાં, તેમણે બનાવેલાં 1200 મંદિરરુપે સામાજિક ચેતનાના બિંદુ ઊભાં કર્યાં છે. પરંપરાના બોજમાં જીવનારાં લોકો નવું કરવાનું સામર્થ્ય નથી ધરાવતાં. પણ પ્રમુખસ્વામી સમયના બંધનોથી બંધાયેલાં ન હતાં.
મંદિર પરંપરામાં આટલું બધું મેનેજમેન્ટ, હ્યુમન ટચ, પરફેક્શન…એવી પરંપરા ઊભી કરી કે સ્વચ્છતા જેવી બાબતોમાં આમૂલ પરિવર્તન કરી દીધું.
ટેકનોલોજીનો ઉપયોગ, આધુનિકતા અને દિવ્યતાનો આજે સુભગ સંયોગ થયો છે. અક્ષરધામ મંદિરનો પ્રત્યેક પથ્થર બોલતો હોય તેવું સમર્પણ ભાવ વિના શક્ય નથી.
દિલ્હી અક્ષરધામ મંદિરમાં થ્રી ડી થિયેટર ઊભું કર્યું. આવે ત્યારે ભક્ત ન હોય પણ જાય ત્યારે ભક્ત બનીને જાય તેવું વાતાવરણ ઊભું કર્યું છે.
પ્રમુખસ્વામીએ જ્યારે મોટાપાયે દીક્ષાનો કાર્યક્રમ કર્યો ત્યારે કહ્યું હતું કે જુવાનીયાંને કામે જોતરું છું તેમની પરફેક્ટ ટ્રેનિંગ કરી છે. સાળંગપુરમાં ટ્રેનિગ ઇન્સ્ટિટ્યૂટ ઊભું કર્યું. સંતજીવનના સખત નિયમોના 18મી સદીના નિયમોનું ચુસ્ત પાલન રાખ્યું છે.
આજે લગભગ 1100 સંતો છે.આટલા બધાં સંત એકસમયે હોય તેવી વ્યવસ્થા પ્રમુખસ્વામીના કારણે શક્ય બન્યું છે. આ ઘટના અસામાન્ય છે.
પ્રમુખસ્વામી કે બીએપીએસને છાઇ જવા કરતાં સામેવાળાંને સમેટી લેવામાં રસ હોય છે. કલામ સાહેબ પણ તેમના થઇ જાય ને નરેન્દ્ર મોદી પણ તેમના થઇ જાય.
પીએમ થયાં પછી જેમને જેમને મળ્યો તેઓએ પ્રમુખસ્વામી બાપા કે મંદિરોમાં ગયાં હોય મળ્યાં હોય એવો ઉલ્લેખ તમામે કર્યો છે.
પ્રમુખસ્વામીએ મારા ભાષણોની ટેપ મોકલવાનું કહ્યું હતું તો મેં કહ્યું તમારું મારે સાંભળવાનું હોય. તેમણે મારા બધાં ભાષણ સાંભળી એમણે મને કહ્યું હતું કે તમારાથી આમ બોલાય, આમ ન બોલાય..મારા વિકાસની ચિંતા એટલી બધી તેમને ચિંતા હતી. આજે આ બધી બાબતો મારા કામની છે.
મહંતસ્વામીનો હાથ પકડી ચાલ્યો ત્યારે તમે તાળીઓ પાડી.
મને એક ઘટના યાદ આવી. પૂરમાં ફસાયેલી નાની બાળકીને પિતાએ હાથ પકડવાનું કહ્યું તો કહ્યું તો દીકરીએ કહ્યું કે તમે મારો હાથ પકડો. તમે મારો હાથ પકડશો તો ક્યારેય હાથ છૂટે નહીં. મહંતસ્વામીનો હાથ ઝાલ્યો પછી મારે શી ચિંતા…?
Comments
Post a Comment